રસાયણિક દારૂને કારણે અનેક યુવાનોનો ભોગ લેવાતા પરિવારો બરબાદ થઇ રહ્યા છે
વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલના અંતરિયાળ વિસ્તારના 11 ગામોમાં દેશી રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ બંધ કરવા માટે તાપી પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જો દિન સાતમાં આ દારૂના ભઠ્ઠાઓ બંધ ન થાય તો જનતા રેડ કરવાની ચીમકી પણ અપાઇ હતી.
વ્યારા તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈભાઈ ગામીત રહે ચીચ બરડી દ્વારા એ પોલીસ અધિક્ષક તાપીને લેખિત માં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારના 11 ગામો જેવા કે ચીચ બરડી, ઝાંખરી, વાલોઠા, વડપાડા, રાણી આંબા, ઢોંગી આંબા, બીરબરા, નાનાસાતસિલા, ભૂરીવેલ, છેવડી, ઢોલી ઉમર આ તમામ ગામોમાં દેશી રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ 24 કલાક ચાલતા હોય યુવકો દારૂના રવાડે ચડી ગયેલ હોય.
આ ગામો પૈકી એક વર્ષની અંદર છ થી સાત જેટલા યુવાનો રાસાયણિક દારૂના લીધે મૃત્યુ પામેલ છે, તા 20મી જુલાઈના દીને વ્યારા ના ચીચબરડી ગામનો 26 વર્ષીય યુવક રાસાયણિક દારૂના સેવનના લીધે મૃત્યુ પામેલ છે, જેથી ગામના આગેવાનો અને વડીલો જોડે ચર્ચા કરી આ તમામ ગામોમાં રાસાયણિક દારૂ બંધ કરવા અરજ કરવામાં આવી છે, ગત વર્ષ 2019-20 માં જનતા રેડ આ ગામોમાં કરવામાં આવી હતી અને રાસાયણિક દારૂના ભઠ્ઠાઓ બંધ કરવામાં આવ્યા હતા.
પરંતુ ઉપરોક્ત ગામોમાં કોઈકના મેળાપીપણામાં રાસાયણિક દારૂનું વેચાણ ફરી ચાલુ વર્ષમાં પાછું શરૂ કરવામાં આવ્યું છે જેની સામે કાયદાકીય પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. 7 દિવસની અંદર તંત્ર દ્વારા દારૂના ભઠ્ઠાઓ અને રાસાયણિક ગોળના વેપારીઓ સામે પગલા નહીં લે તો જનતા રેડ કરવામાં આવશે.


.png)