
-સ્થાનિક રહીશોએ રોજ 10 થી 12 કિ.મીનો ચકરાવો લઇને અવરજવર કરવાની નોબત
-કાયમી ઉકેલ માટે કોઝવે ઉંચો બનાવવાની માંગણી
વ્યારા
નિઝર તાલુકાના જુના કાવઠા અને વેલ્દા ગામ વચ્ચેનો કોઝવે ઉકાઈ જળાશયના પાણીમાં ગરકાવ થતા દર વર્ષે ૪ માસ સુધી સ્થાનિકોએ અવાર જવર માટે હાલાકી ભોગવવી પડે છે. વાહન વ્યવહાર માટે ૧૦ થી ૧૨ કિ.મીનો લાંબો ચકરાવો ફરીને અવાર જવર કરવાની ફરજ પડે છે. તેથી કોઝવે ને ઉંચો કરવાની માંગ ઉઠી છે.

તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકાનું તાપી નદી કિનારે આવેલું જુના કાવઠા ગામ અને વેલ્દા ગામને જોડતા રસ્તા ઉપર કોઝવે બનાવેલો છે. આ કોઝવે નીચો હોવાથી ચોમાસા દરમિયાન ઉકાઈ જળાશયનું પાણી તેના ઉપર ફરી વળે છે. અને ચોમાસા બાદ પણ ત્રણથી ચાર માસ સુધી આ કોઝવે પાણીમાં ગરકાવ રહેતા આ રસ્તા પર વાહન વ્યવહાર બંધ થઇ જાય છે. ૫૦૦થી વધુ વસ્તી ધરાવતા જુના કાવઠાના લોકોને ધંધા-રોજગાર કરવા, નિઝર કે વેલ્દા બજારમાં જવા માટે વેલ્દા ટાંકીથી કુકરમુંડા જતો રસ્તો કે કુકરમુંડાના કોટલી ગામના રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.
જેથી વાહન વ્યવહાર માટે ૧૦થી ૧૨ કિ.મી. લાંબો ચકરાવો લઇને અવરજવર કરવી પડે છે. ખેડૂતોને પણ પોતાના ખેતરમાં ખાતર, બિયારણ લાવવા લઇ જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. કેટલીકવાર કોઝવે પરથી જોખમ ખેડીને પગપાળા લોકો અવર જવર કરે છે. પરંતુ પાણીનો ભરવો લાંબો સમય સુધી રહે છે. તેથી કોઝવે ઉપર લીલ જામી જાય છે. અને અકસ્માત થવાની ભીતિ રહે છે. કેટલાક સમયથી ચોમાસા બાદ પણ આ સ્થિતિનું નિર્માણ થતું હોવાથી જુના કાવઠા ગામના લોકો આ મુશ્કેલીનો કાયમી ઉકેલ આવે તે માટે કોઝવે ઉંચો કરવાની માંગ કરી રહ્યા છે.
.png)

.png)